Friday, 2 December 2016
As kids see it ...
Monday, 7 March 2016
An old letter to niece
૫/૩/'૦૯
પ્રિય શ્રદ્ધા,
આજે બપોરે ઘરે આવ્યો ત્યારે પગથિયાં ચડતાં જ મારી નજર બદામના ઝાડ પર બેઠેલા બંદરો પર પડી. બદામ તો હતી નહી એટલે બદામનાં પાંદડાં તોડી-તોડીને ઝાપટતા હતા. રાજકોટમાં બંદરો આવી રીતે જોવા મળે નહિ. પ્રાણીસંગ્રહાલયે જ જવું પડે. અમદાવાદમાં તો સમયે-સમયે એમનો એક રાઉન્ડ લાગી જ જાય. સારું છે. સતત માણસોને જોતા રહ્યા પછી બંદરોને જોવાથી આખોને ઠંડક પહોંચે છે. આમ પણ આંખોને પરિવર્તન પસંદ પડે છે.
એમને જોઈને એક ક્ષણ તો મારા પગ થંભી જ ગયા. મને મારાં માસી યાદ આવ્યાં. માસા-માસી હમણાં જ વૃંદાવન ગયાં હતાં. ત્યાં એક મંદિર નજીક બંદરોના ટોળાએ એમને ઘેરી લીધાં હતાં. એ તો સુવિદિત છે કે વૃંદાવનમાં પંડાઓ અને બંદરો એક વાર ઘેરી લે એટલે કશુંક મેળવ્યા વિના છોડે નહિ. એક શરારતી બંદરે હસ્તકૌશલ્ય દાખવી માસીનાં ચશ્માં ખેંચી લીધાં. પણ ચશ્માં એને શાં કામનાં? એ વાતનું જ્ઞાન થતાં ફેકી દીધાં. કાચ તૂટવા જોઈતા હતા પણ તૂટી ફ્રેમ. એ બંદરે માસાને ચારસો રુપિયાનું ખરચ કરાવ્યુ! મને મારાં ચશ્માં ઉતારી નાંખવાનો વિચાર આવ્યો. પછી થયુ કે આ બંદરો સજ્જન હોવા જોઈએ નહિંતર મને જોઈને અદબ રાખીને મારા માટે આમ રસ્તો ન કરી આપત.
થોડા દિવસો પહેલાં મેં ડિજિટલ કૅમેરા લીધો હતો. એ લાવીને એમના (બંદરોના) ૧૦-૧૫ ખૂબસૂરત ફોટાઓ ખેંચ્યા. મને તો આ પ્રવૃત્તિમાં ખૂબ જ મજા આવી; એમને આવી કે નહિ ખબર નથી. આ પત્ર સાથે એમાંથી ૨-૩ ફોટાઓ તને મોકલીશ.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં અમુક સમય પહેલા પ્રખ્યાત ફોટોગ્રાફર શ્રી પ્રાણલાલ પટેલ વિશે વાચ્યું હતું. એમણે હમણાં જ જીવનની શતાબ્દી પૂરી કરી. અને એ ખુશીમાં એમનું બહુમાન કરવા આ અખબારે અમુક દિવસો સુધી એમણે લીધેલા ફોટોગ્રાફ્સ છાપવાનું પ્રયોજન રાખ્યું હતું. એમાં પાંચ દાયકા પહેલાંના અમદાવાદને જોવાની ખરેખર ખૂબ મજા આવી હતી. કાળુપુર રેલવે-સ્ટેશન, કાકરિયા, દિલ્લી દરવાજા, માણેકચોક...... એક-એક સ્થળના બહેતરીન ફોટોગ્રાફ્સ કૅમેરાની આંખે એમણે આપ્યા છે. મને કૅમેરા લેવાની ઇરછા તો ઘણાં સમયથી હતી, પણ એમના વિશે વાંચ્યા પછી આખરે ખરચ કરી જ નાખ્યું. શરુઆત કરી અમદાવાદની જૂની અને જાણીતી એમ. જે. લાયબ્રેરીથી. એ તસવીર ખૂબ ફાઈન આવી છે. સમય મળે તો વધુ ખેડાણ કરવાની ઇરછા છે. હાથમાં બાઇક અને કૅમેરા હોય ને અમદાવાદ જેવું શહેર હોય તો પછી વિચારવાનું શું હોય?
અમદાવાદ આવ્યા પછી ઘણીવાર વિચાર આવે છે કે નવી જગ્યાએ અજાણ્યા થઈને વસવાટ કરવાનો પ્રયોગ એક વાર તો કરવો જ જોઈએ. વૃક્ષની જેમ એક જ સ્થળે જન્મીને એજ સ્થળે મરી જવાનુ આપણને કેમ પાલવે?
અમદાવાદ અને અમદાવાદીઓની છાપ ભલે ગમે તેવી હોય પણ અહીંના વાતાવરણની શાંતિ, ઠંડક, હૂંફ અને સાત્ત્વિકતાએ મારામાં ઘણું પરિવર્તન લાવી દીધું છે, શારીરિક અને માનસિક એમ બન્ને રીતે. રાજકોટની અને મિત્રો-સ્નેહીજનોની યાદોથી ખેંચાઈને હું ત્યાં પાછો જઈશ તો પણ અહીં સુખરૂપ પસાર કરેલો કાળ મરણપર્યંત ભુલાશે નહીં. પાંચસો વર્ષના તેજસ્વી વારસાના પ્રભાવથી આ શહેર દિવસ-રાત ઝળહળે છે. મને તો અહીં પાંચસો વર્ષ જૂના, ફેલાયેલા ઘટાદાર વૃક્ષ ની ગાઢ છાયામાં બેસવાની અનુભૂતિ થાય છે.
અમારા પ્યૂન - મહેશ - સાથે પણ અમદાવાદમાં ફરવાનું થાય. ૨૩-૨૪ વર્ષનો યુવાન છે. હમણાં જ એનાં લગ્ન થયાં છે અને બહુ ઉત્સાહી છે. કદાચ લગ્નનો હૅંગઓવર ચાલુ છે! અમુક દિવસો પહેલાં મેં એને રઘુવીર ચૌધરીને લખેલો પત્ર પૉસ્ટ કરવા આપ્યો હતો. એ ભૂલી ગયો. મેં પૂછ્યું તો કહે,"ગુલબાઈ ટેકરા ક્યાં આઘું છે? આપણા સેટેલાઈટવાળા સેન્ટરે જઈશુ ત્યારે રસ્તામાં એમના ઘરે જ રૂબરૂ આપી દેજો." મેં કહ્યું, "એ વ્યસ્ત લેખક. મારાથી વગર પરવાનગીએ એમને ખલેલ ન પહોચડાય." એણે કહ્યું, તો તમે નીચે બાઈક પર જ રહેજો. હું આપી આવીશ. પછી એમ જ કર્યુ.
ગઈ શિવરાત્રિએ મારી ઇરછા જૂનાગઢ પહોંચી જવાની હતી. ખાલિસ ભાંગ પીવાની પણ ઇરછા હતી. જૂનાગઢ જવાનું તો શક્ય ન બન્યું પણ ભાંગ તો અમદાવાદમાં પણ મળી શકે. મેં રૂપિયા આપી મહેશને ભાંગની વ્યવસ્થા કરવા મોક્લ્યો. એ આજુબાજુ ભટકીને ભાંગ વિના જ પાછો ફર્યો. કહે, આપણે બાઈક પર જ કામેશ્વર મહાદેવના મંદિરે જઈએ. ત્યાં પ્રવાહી સ્વરૂપે ભાંગ કે પછી લસોટેલી ભાંગની ગોળીની પણ વ્યવસ્થા થઈ જશે. કામેશ્વર મંદિરે ભાંગ તો મળી પણ પીધા પછી કમબખત નશો જ ન ચડ્યો. મહેશે તો પેલાને ભાંડવાનું શરૂ કર્યું: નશો કેમ ચડતો નથી? મહેશને ગુસ્સે થતો જોઈ પેલો મૂછોમાં હસતો-હસતો વિચારતો હશેઃ નશો ચડવા લાગ્યો છે!!!
અમદાવાદ આવ્યા પછી પહેલું કામ મેં અમદાવાદનો નકશો ખરીદવાનું કર્યું હતું. આ ઘર ભાડે લીધું એ તો બે મહિના થયા પછી. શરૂઆતના બે મહિના હું કાળુપુર રેલવે સ્ટેશન પાસેના રાજનગર ગેસ્ટ-હાઉસમાં રોકાયો હતો. ત્યાંથી જ નકશાની મદદથી હું કાંકરિયા તળાવ, લૉ-ગાર્ડન, પરિમલ ગાર્ડન, ગાંધી આશ્રમ (સાબરમતી આશ્રમ), વૈષ્ણોદેવી મંદિર, એમ.જે. લાઇબ્રેરી એમ ફરતો થયો. એ દિવસોમાં હું જેટલું ફર્યો એટલુ હવે ફરતો નથી. અમદાવાદ ભારતનું સાતમા નંબરનું મોટું શહેર છે, પણ મને આ વાત ગળે વાત ગળે ઉતરતી નથી. સાતમા નંબરનુ મોટું શહેર મને નાનું લાગે છે!
બે મહિના સુધી હું અવઢવમાં હતો. મને ખબર નહોતી કે અહી લાંબો વસવાટ કરીશ કે પછી ઉચાળા ભરીને રાજકોટ રવાના થઈ જઈશ. પછી જયારે નિર્ણય કરી જ લીધો ત્યારે ભાડે મકાનની શોધ અખબારમાં શરૂ કરી. મમ્મી પણ રાહ જોતાં હતાં કે હું ક્યારે મકાનનું નક્કી કરું. સ્ટાફ-મિત્રો આ કામમાં ખાસ મદદ ન કરી શક્યા. ૨૬/૭/૨૦૦૮ના બૉંબ-બ્લાસ્ટ પછીના એ દિવસોમાં અમદાવાદમાં અજાણ્યા માણસ માટે ઘર ભાડે લેવું એક દુષ્કર કાર્ય બની ગયું હતું. હોટેલો-ગેસ્ટહાઉસોમાં પણ આઇડેન્ટિટીકાર્ડ વગર પ્રવેશ મળતો નહીં. છ-સાત મહિનામાં તો લોકો આવો કોઈ હુમલો થયો હતો એ પણ ભૂલી ગયાં છે. આખરે દલાલની મદદથી ભટકી-ભટકીને ૫-૭ મકાન જોયાં બાદ ઘાટલોડિયાનું આ મકાન મારી આંખોમા ઠર્યું. આ ટૅનામૅન્ટ છે. મકાન-માલિક નીચે રહે છે, ગ્રાઉન્ડ ફ્લોર પર. ઉપરના માળે અમે. મકાન-માલિક ઇન્કમ-ટૅક્સ ઑફિસર છે. એમને સંતાનોમાં બે દીકરીઓ અને એક દીકરો છે. મોટી દીકરીનાં લગ્ન અમદાવાદમાં જ થયાં છે. નાની સર્વિસ કરે છે. દીકરા (નિસર્ગ એનું નામ)ને મગજની બીમારી છે. ઉંમર સાથે શારીરિક વિકાસ થયો છે, માનસિક નહીં. શરૂશરૂમાં હું એને હીંચકા પર જ ઝૂલતા જોતો. કાં તો ફિલ્મોનાં ગીતોની કડીઓ લલકારતો હોય, અથવા તો અંગૂઠો ચૂસતો હોય. વાર્તાલાપ તો એની સાથે થઈ જ ન શકે. મેં એક વાર એને પૂછ્યું હતું, "કેમ છો?" એણે મને સામે પૂછેલું, "કેમ છો?" પછી મેં પૂછ્યું હતું, "પપ્પા છે ઘરે?" એણે મને સામું પૂછ્યું, "પપ્પા છે ઘરે?" અત્યાર સુધી એના તરફ્થી મને કોઈ તકલીફ થઈ નથી. હાં, ક્યારેક રાત્રે એ બૂમો પાડવા માંડે ત્યારે ત્રાસ જરૂર થઈ આવે. રાતના બાર-એક વાગે પૂરી સોસાયટીમાં એની બૂમોના પડઘા પડે અને અધૂરામાં પૂરું ક્યારેક કૂતરાંઓ પણ એને સાથ આપતાં હોય એમ ભસવાનું શરૂ કરે અને મધરાતે હું ઊંઘમાંથી ઊઠી ગયો હોય એવું ઘણી વાર બન્યું છે. નિસર્ગની એક ખાસિયત છે; ઘરે આવેલ દરેકની સાથે તે હાથ મિલાવી સ્વાગત કરે, અચૂક. હમણાં જ આશિષ અને જિજ્ઞાસાભાભી અમદાવાદ ભ્રમણ અર્થે નીકળ્યાં હતાં અને ઘાટલોડિયાના અમારા મકાનનાં પ્રથમ અતિથી બન્યાનો રૅકોર્ડ એમનાં નામે થયો. નિસર્ગે જિજ્ઞાસાભાભી તરફ હાથ લંબાવ્યો હતો. ડરતાં-ડરતાં પણ પરાણે હસીને ભાભીએ પોતાના બે હાથ જોડી નમસ્કારથી પતાવ્યું હતું. ઉપર પહોંચ્યાં પછી મેં ભાભીને કહ્યું હતું, "શાંત માણસ છે. તમે હાથ મિલાવ્યો હોત તોપણ કંઈ ડર જેવું નહોતું." ભાભી બોલ્યાં, "પણ મને ડર લાગતો હતો કે હાથ પકડ્યા પછી ન છોડે તો?" મને થયું હતું કે ભાભીને કહું કે એ બિચારો આશિષ જેટલો સમજદાર થોડો છે?
પત્ર લખવામાં ઘણો સમય ચાલ્યો ગયો. હજુ ઢગલાબંધ કામો પતાવવાના છે. આવતીકાલના પિરિયડ્સની તૈયારી કરવાની છે. આજનાં છાપાં વાચવાનાં છે. શરદબાબુનું જીવનચરિત્ર "આવારા મસીહા" પૂરું કરવાનું છે.... માટે વધુ આવતા અંકે.
તારા મમ્મી-પપ્પાને પ્રણામ. હેત્વીને મારા વતી રમાડજે.
પત્ર લખજે. જોકે રાહ તો હું તારી પણ જોઈશ. પત્રને બદલે તમે બધાં જ અમદાવાદ આવી જાઓ તો આનંદ આનંદ .....
બસ એજ.
-હિતેષકાકા